માંદોની ગામે મનરેગા યોજના હેઠળ ચેકડેમનું ભૂમિપૂજન: ખેડૂતો માટે સિંચાઈની નવી આશા
VALSAD | By Akhand Bharat Team | Published:
રાજનીતિ
માંદોની ગામે મનરેગા યોજના હેઠળ ચેકડેમનું ભૂમિપૂજન: ખેડૂતો માટે સિંચાઈની નવી આશા
મયુર મોકાશી દાદરા અને નગર હવેલીના માંદોની ગામે વિકાસના નવા સોપાન સર કર્યા છે. મનરેગા (MGNREGA) યોજના અંતર્ગત ગામમાં નિર્માણ થનાર નવા ચેકડેમનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ વિકાસ કાર્યનો શુભારંભ જિલ્લા પંચાયત અધ્યક્ષ નિશા ભાવર, ગામના સરપંચ અને જિલ્લા પંચાયતના અન્ય સભ્યોની વિશેષ ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે કરવામાં આવ્યો હતો. જિલ્લા પંચાયત અધ્યક્ષ નિશા ભાવરે આ પ્રસંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, "આ ચેકડેમનું નિર્માણ એ ગામના ખેડૂતોના હિતમાં લેવાયેલું એક મોટું પગલું છે. આ પ્રોજેક્ટ દ્વારા માત્ર સિંચાઈની સમસ્યા દૂર થશે એટલું જ નહીં, પરંતુ વરસાદી પાણીનો સંગ્રહ થવાથી ભૂગર્ભ જળસ્તર પણ ઊંચા આવશે. મનરેગા યોજના થકી સ્થાનિક લોકોને રોજગારીની સાથે સાથે લાંબા ગાળાની કાયમી મિલકત (ચેકડેમ) મળી રહેશે, જે ગામની ખેતી અને પશુપાલનને નવી મજબૂતી આપશે."ગ્રામજનોમાં ઉત્સાહઆ કાર્યના આરંભથી ગ્રામજનોમાં ખુશીની લહેર જોવા મળી હતી. ખેડૂતોનું માનવું છે કે ચેકડેમ બનવાથી ખેતીના પાણીની સમસ્યા દૂર થશે અને આવનારા સમયમાં પાકની ઉપજમાં પણ વધારો જોવા મળશે. કાર્યક્રમ દરમિયાન જિલ્લા પંચાયત અધ્યક્ષ નિશા ભાવરે વધુમાં જણાવ્યું હતું કે, "ગામના સર્વાંગી વિકાસ અને લોકોની સુવિધા માટે અમે સતત પ્રતિબદ્ધ છીએ અને ભવિષ્યમાં પણ આવા લોકહિતના કાર્યોને અગ્રતા આપવામાં આવશે."આ પ્રસંગે સ્થાનિક પંચાયતના સભ્યો, વહીવટી અધિકારીઓ અને ગામના મોટી સંખ્યામાં ખેડૂતો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.